• સંસ્થા દ્વારા સભ્યોના બેંકમાં બોગસ ખાતા ખોલી કૌભાંડ આચર્યું હોવાની રાવ
ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામની “જ્યોતિ માનવ વિકાસ ટ્રસ્ટ” દ્વારા 180થી વધુ સભ્યોના બેંકમાં બોગસ ખાતા શરૂ કરી સભ્યોના નામે સરકારી સહાય ચાઉં કરી જતા હોવાનો મામલો સામે આવ્યો છે.
જેમાં નવલગઢ ગામની “શ્રી જ્યોતિ માનવ વિકાસ ટ્રસ્ટ”ના સંચાલકો દ્વારા ધ્રાંગધ્રા પંથકના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા આભાં અને અશિક્ષિત સભ્યોના આધારકાર્ડ સહિતના ઓળખ પુરાવા લઈ સભ્યોને વણાટકામ અર્થે સામગ્રી તેમજ સરકારી સહાય આપવાની લાલચ આપી હતી.
જે બાદ આ સભ્યોને પોતાના નામના બેંક ખાતા ધ્રાંગધ્રાની કોર્પોરેશન બેંક ખાતે હોવાની જાણ થતા તપાસ કરવી હતી જેમાં 180 જેટલા સભ્યોના જન બહાર ખાતા ખૂલ્યા હતા અને સરકારી સહાય પણ ખાતામાં જમા થઈ હતી. જ્યારે આ દરેક ખાતામાં સંસ્થાના સંચાલક હીરાભાઈ જેઠાભાઈ મકવાણા અને તેઓના લગતા વળગતા મોબાઈલ નંબર જોડવામાં આવ્યા હતા.
જેથી ભોગ બનનાર સભ્યોને બેંક ખાતામાં થતી આપ-લે બાબતે અજાણ રહ્યા હતા જોકે બાદમાં બોગસ બેંક ખાતાની જાણ સભ્યોને થતા હાલ ધ્રાંગધ્રાની કોર્પોરેશન બેંક ખાતે પોતાના નામે ખોલવામાં આવેલા ખાતા તાત્કાલિક બંધ કરવા માટે બેંકમાં લેખિત જાણ કરી છે સાથે જ બોગસ બેંક ખાતા ખોલાવી ખાડી સંસ્થાના નામે સરકારી સહાય ચાઉં કરી જનારા “શ્રી જ્યોતિ માનવ વિકાસ ટ્રસ્ટ – નવલગઢ” સંસ્થાના સંચાલકો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.
જ્યારે આ ગંભીર આક્ષેપ અંગે “શ્રી જ્યોતિ માનવ વિકાસ ટ્રસ્ટ” સંસ્થાના સંચાલક હીરાભાઈ મકવાણા સાથે ટેલીફોનીક સંપર્કમાં તેઓએ આ તમામ આક્ષેપ ખોટા હોવાનું જણાવ્યું હતું.
