• ખનિજ ભરેલું ટ્રેકટર પ્રાંત અધિકારીના ડરથી ફુલ સ્પીડમાં ભગાડતા અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા
(દિનેશ કોશીયા, ચોટીલા): સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં એક આધેડનું મોત થયું હતું. બનાવની વિગત અંગે જો વાત કરવામાં આવે તો ચોટીલા થાનગઢ રોડ પર આજે બપોરના સમયે એક ટ્રેકટર જીજે ૧૩ સી ઈ ૧૯૨૮ નંબર વાળા ચાલકે રોડની સાઈડમાં ઊભેલા ટપુભાઈ રત્નાભાઈ પરમાર, ઉંમર: ૭૫ વર્ષ વાળા આધેડને અડફેટે લેતા આધેડ હવામાં ફંગોળાયા હતા.

જ્યારે અકસ્માતને લીધે આધેડને ગંભીર ઇજાઓ પામતા ટ્રેક્ટર ચાલક ફરાર થઈ ગયો હતો જ્યારે અન્ય રાહદારીઓ દ્વારા ૧૦૮ની મદદથી ઇજાગ્રસ્ત આધેડને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા હોસ્પિટલના તબીબ દ્વારા આધેડને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જોકે આ અંગે સ્થાનિક ચોટીલા પોલીસને જાણ કરતા પોલીસ પણ ટ્રેક્ટર ચાલકની શોધખોળમાં લાગી છે પરંતુ અકસ્માત સમયે હાજર પ્રત્યક્ષદર્શીઓ દ્વારા આધેડને અડફેટે લેનાર ટ્રેકટમાં ખનિજ ભરેલું હોવાનું અને કોઈ કારણસર ટ્રેક્ટર ફુલ સ્પીડથી ભગાડ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારે હાલ તો ખનિજ વહન કરતા વાહનોથી વારંવાર અકસ્માતોમાં અનેકના જીવન જોખમાતા આ વાહનો યમરાજ સમાન સાબિત થયા છે.
