• ખેડૂતોના વાવેતર કરેલ પાક નિષ્ફળ જવાની ભીતિ
ધ્રાંગધ્રા પંથકમાં ફરી એક વખત કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે. રાજ્યમાં ચોમાસુ શરૂ થયા બાદ હજુય છૂટાછવાયા વિસ્તારોમાં યથાવત જોવા મળે છે. ત્યારે ધ્રાંગધ્રા પંથકમાં સોમવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં વીજળીના કડાકા ભડાકા શરૂ થયા હતા.
ધ્રાંગધ્રાના બાવળી, કોંઢ, જસાપર, નારીચાણા, સહિતના ગામોમા વરસાદ પણ શરૂ થયો હતો. આ તરફ આચનક વરસાદ શરૂ થતા માર્કેટિંગ યાર્ડમાં પણ કેટલાક અંશે ખેડૂતોના પાક ભીંજાયા હતા. બીજી તરફ કમોસમી વરસાદના લીધે ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલ કપાસ, મગફળી સહિતના પાકોને નુકશાન જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે વાવેતર કરી મહામહેનતે તૈયાર કરેલ પાક વરસાદના લીધે નિષ્ફળ જતા ખેડૂતોને મોઢામાં આવેલો કોળીયો કુદરત છીનવે તેવો ઘાટ સર્જાયો છે.
